એક વર્ષમાં બાઇબલ
મે ૧૯

૧. દાવિદે પૂછયું, “શાઉલના કુટુંબમાંનું હજુ સુધી કોઈ બાકી રહ્યું છે? જો હોય તો યોનાથાનને લીધે હું તેના પર પ્રેમ દર્શાવવા માગું છું.”
૨. સીબા નામે શાઉલના કુટુંબનો એક નોકર હતો. તેને દાવિદ પાસે જવાનું કહેવામાં આવ્યું. રાજાએ તેને પૂછયું, “તું સીબા છે?” તેણે જવાબ આપ્યો, “જી, મહારાજ.”
૩. રાજાએ તેને પૂછયું, “શાઉલના કુટુંબમાંનું કોઈ બાકી રહ્યું છે કે હું તેના પર ઈશ્વરના જેવો અપાર પ્રેમ દાખવું?” સીબાએ જવાબ આપ્યો, “હજુ યોનાથાનનો એક પુત્ર બાકી છે, તે લંગડો છે.”
૪. રાજાએ પૂછયું, “તે ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો, “તે લો-દબારમાં આમ્મીએલના પુત્ર માખીરને ઘેર છે.”
૫. તેથી રાજાએ તેને બોલાવ્યો.
૬. શાઉલનો પૌત્ર મફીબોશેથ આવ્યો ત્યારે તેણે દાવિદને ભૂમિ સુધી શિર નમાવીને નમન કર્યું. દાવિદે કહ્યું, “મફીબોશેથ.” તેણે જવાબ આપ્યો, “જી, રાજન.”
૭. દાવિદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને લીધે હું તારા પ્રત્યે માયાળુ રહીશ. તારા દાદા શાઉલની સઘળી જમીન જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી સાથે જમજે.”
૮. મફીબોશેથે ફરીથી નમન કરીને કહ્યું, “મહારાજા, હું તો મરેલા કૂતરા જેવો છું. તો પણ તમે મારા પ્રત્યે આટલી ભલાઈ દર્શાવો છો!”
૯. પછી રાજાએ શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “તારા માલિકના પૌત્ર મફીબોશેથને શાઉલ તથા તેના કુટુંબનું સર્વસ્વ આપી દઉં છું.
૧૦. તારે, તારા પુત્રોએ અને તારા નોકરોએ તારા માલિક શાઉલના કુટુંબને વાસ્તે એ જમીનમાં ખેતી કરવાની છે અને તેની ઊપજમાંથી તેમનું ભરણપોષણ કરવાનું છે. પણ મફીબોશેથ પોતે તો હંમેશા મારી સાથે જ જમશે.” (સીબાને પંદર પુત્રો અને વીસ સેવકો હતા.)
૧૧. સીબાએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના કહેવા પ્રમાણે હું બધું કરીશ.” એમ મફીબોશેથ રાજાના એક પુત્રની માફક રાજાની સાથે જ જમતો.
૧૨. મફીબોશેથને મિખા નામે એક યુવાન પુત્ર હતો. સીબાના કુટુંબના બધા સભ્યો મફીબોશેથના નોકર બન્યા.
૧૩. આમ, બન્‍ને પગે લંગડો મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો અને રાજાની સાથે જ જમતો.
૧. થોડાએક સમય બાદ આમ્મોનનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેનો પુત્ર હાનૂન રાજા બન્યો.
૨. દાવિદ રાજાએ કહ્યું, “હાનૂનના પિતા નાહાશે મારા પ્રત્યે જેવો સદ્ભાવ દાખવ્યો હતો તેવો જ સદ્ભાવ હું હાનૂન પ્રત્યે દાખવીશ.” દાવિદે તેના પિતાના મૃત્યુ સંબંધી તેને દિલાસો દેવા રાજદૂત મોકલ્યા.
૩. તેઓ આમ્મોનમાં આવી પહોંચ્યા એટલે આમ્મોનના રાજદરબારીઓએ રાજાને કહ્યું, “તમે એમ માનો છો કે દાવિદે તમારા પિતાના માનમાં તમારા પ્રત્યે હમદર્દી દર્શાવવા આ સંદેશકો મોકલ્યા છે? અલબત્ત, નહિ. તેણે તો તેમને નગરની જાસૂસી કરવા મોકલ્યા છે, જેથી તે આપણને જીતી લે.”
૪. હાનૂને દાવિદના સંદેશકોને પકડીને તેમની દાઢી એકબાજુથી કાપી નખાવી અને કમરથી નીચેના ભાગનાં વસ્ત્ર વચ્ચોવચ્ચથી ફાડી નખાવીને તેમને મોકલી દીધા.
૫. તેમને ઘેર જતાં ઘણી શરમ લાગતી હતી. એ બનાવ વિષે સાંભળીને દાવિદે તેમના પર સંદેશો મોકલ્યો કે તેઓ યરીખોમાં જ રહે અને તેમની દાઢી વધે પછી પાછા આવે.
૬. આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.
૭. દાવિદે એ સાંભળીને યોઆબને સમગ્ર સૈન્ય લઈને તેમની સામે લડવા મોકલ્યો.
૮. આમ્મોનીઓ કૂચ કરી બહાર આવ્યા અને તેમની રાજધાની રાબ્બાના પ્રવેશદ્વારે મોરચો નાખ્યો, જ્યારે અરામીઓ, ટોબના માણસો અને માખાએ સીમના ખુલ્લા મેદાનમાં મોરચો નાખ્યો.
૯. યોઆબે જોયું કે શત્રુની લશ્કરી ટુકડીઓ સામેથી અને પાછળથી હુમલો કરશે. તેથી ઇઝરાયલી સેનામાંથી ચુનંદા સૈનિકોને અરામીઓ સામે લડવાને ગોઠવ્યા.
૧૦. પોતાની બાકીની લશ્કરી ટુકડીઓને તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી હેઠળ રાખી. તેમને આમ્મોનીઓની સામે લડવાના મોરચે રાખ્યા.
૧૧. યોઆબે તેને કહ્યું, “તને એમ ખબર પડે કે અરામીઓ મને હરાવી રહ્યા છે તો તું મારી મદદે આવજે અને આમ્મોનીઓ તને હરાવતાં જણાય તો હું તારી મદદે આવીશ.
૧૨. બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.”
૧૩. યોઆબ અને તેના માણસોએ હુમલો કર્યો. અને અરામીઓ ભાગ્યા.
૧૪. અરામીઓને ભાગતા જોઈને આમ્મોનીઓએ પણ અબિશાય આગળથી પીછેહઠ કરી અને નગરમાં ધૂસી ગયા. પછી યોઆબ આમ્મોનીઓ સામેની લડાઈમાંથી પાછો ફર્યો અને યરુશાલેમ ગયો.
૧૫. અરામીઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે તેથી તેમણે તેમનાં સર્વ સૈન્યો એકઠાં કર્યાં.
૧૬. યુફ્રેટિસ નદીની પૂર્વ બાજુએથી હદાદએઝેરે અરામીઓને આમંત્રણ આપ્યું. તેઓ સોબાના રાજા હદાદએઝેરના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા.
૧૭. એ સાંભળીને દાવિદે ઇઝરાયલી લશ્કરની જમાવટ કરીને યર્દન નદી પાર ઊતરીને હેલામ તરફ કૂચ કરી. પછી અરામીઓએ આક્રમણ કર્યું.
૧૮. ઇઝરાયલીઓએ અરામીઓને હરાવ્યા. દાવિદે અને તેના માણસોએ સાતસો સારથિઓને અને ૪૦,૦૦૦ ઘોડેસ્વારોને મારી નાખ્યા. તેમણે શત્રુઓના સેનાપતિ શોબાખને એવો માર્યો કે તે રણક્ષેત્ર પર જ મરણ પામ્યો.
૧૯. હદાદએઝેરની સરદારી નીચેના રાજાઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે ત્યારે તેમણે તેમની સાથે સલાહશાંતિ કરી. તેમને આધીન થયા પછી આમ્મોનીઓને ફરીથી મદદ કરતાં અરામીઓ ગભરાતા.
૧. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) હે સિયોનવાસી ઈશ્વર, તમારી સમક્ષ મૌન એ પણ સ્તુતિ છે. તમારી સમક્ષ માનતાઓ પૂર્ણ કરાશે.
૨. હે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, સમસ્ત માનવજાત પોતાનાં પાપોને લીધે તમારી પાસે આવશે.
૩. અમારા અપરાધ અમારા પર ફાવી જાય છે; પણ તમે તેમને માફ કરો છો.
૪. જેમને તમે પસંદ કરો છો, અને તમારા પ્રાંગણમાં વસાવો છો તેમને ધન્ય છે. અમે તમારા ઘરની, તમારા પવિત્ર મંદિરની ઉત્તમ આશિષોથી સંતુષ્ટ થઈશું.
૫. હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારા ઉદ્ધારને માટે ભયાનક કામો કરીને તમે અમને ઉત્તર આપો છો. પૃથ્વીની સીમાઓએ વસેલા લોકો અને દરિયાપારના નિવાસીઓ તમારો જ આશરો લે છે.
૬. તમે તમારા બળ વડે પર્વતોને તેમને સ્થાને સ્થાપ્યા. તમે પરાક્રમથી વિભૂષિત છો.
૭. તમે સમુદ્રની ગર્જના અને તેમનાં મોજાંઓનો ધુઘવાટ શાંત પાડો છો, તમે પ્રજાઓનાં હુલ્લડ સમાવો છો.
૮. પૃથ્વીની સીમાઓ સુધી વસનારા લોકો તમારાં અદ્‍ભુત કાર્યોથી ડરે છે. તમે ઉદયાચલથી અસ્તાચલ સુધીના દેશોને હર્ષનાદ કરાવો છો.
૨૦. શિક્ષણ પ્રત્યે ધ્યાન આપનારનું હિત થશે, અને પ્રભુ પર ભરોસો રાખનાર સુખી થશે.
૨૧. જ્ઞાની અંતરવાળો માણસ તેની ઊંડી સમજ માટે પંક્ય છે; તેની મધુર વાણી તેના શિક્ષણને સ્વીકાર્ય બનાવે છે.
૧. એ પછી ઈસુ ગાલીલ એટલે કે, તીબેરિયસ સરોવરને સામે કિનારે ગયા.
૨. મોટો જનસમુદાય તેમની પાછળ ગયો. કારણ, માંદા માણસોને સાજા કરવાનાં અદ્‍ભુત કાર્યો તેમણે જોયાં હતાં.
૩. ઈસુ એક ટેકરી પર ચઢી ગયા અને તેમના શિષ્યો સાથે બેઠા.
૪. યહૂદીઓનું પાસ્ખાપર્વ નજીક હતું.
૫. ઈસુએ ચારે તરફ નજર કરીને જોયું કે મોટો જનસમુદાય તેમની તરફ આવતો હતો. તેથી તેમણે ફિલિપને કહ્યું, “આ લોકોને જમાડવા માટે ખોરાક ક્યાંથી ખરીદી શકાય?”
૬. ફિલિપની પરીક્ષા કરવા જ તેમણે એ કહ્યું હતું. પરંતુ ખરેખર પોતે શું કરવાના છે તે ઈસુ જાણતા હતા.
૭. ફિલિપે જવાબ આપ્યો, “બસો દીનારનો ખોરાક લાવીએ તો ય બધાંને બસ નહિ થાય.”
૮. તેમના બીજા એક શિષ્ય, સિમોન પિતરના ભાઈ, આંદ્રિયાએ કહ્યું,
૯. “અહીં એક છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે. પણ તે આટલા બધાંને કેમ પહોંચે?”
૧૦. ઈસુએ તેમને કહ્યું, “લોકોને બેસાડી દો.” ત્યાં ઘણું ઘાસ હતું. એટલે બધા લોકો બેસી ગયા. આશરે પાંચ હજાર તો પુરુષો જ હતા.
૧૧. ઈસુએ રોટલી લીધી, ઈશ્વરનો આભાર માન્યો, અને લોકોને પીરસી. માછલી માટે પણ તેમણે એમ જ કર્યું. બધાંને જોઈએ તેટલું મળ્યું.
૧૨. બધાં ધરાઈને જમી રહ્યા પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે ટુકડા પડી રહ્યા છે તે એકઠા કરો, જેથી જરા પણ બગાડ થાય નહિ.”
૧૩. તેથી તેમણે તે ઉપાડી લીધા અને લોકોએ ખાધેલી જવની પાંચ રોટલીમાંથી વધેલા ટુકડાઓની બાર ટોપલીઓ ભરી.
૧૪. આ અદ્‍ભુત કાર્ય જોઈને લોકોએ કહ્યું, “ખરેખર, આ તો દુનિયામાં આવનાર ઈશ્વરના સંદેશવાહક છે.”
૧૫. ઈસુ જાણી ગયા કે તેઓ આવીને મને બળજબરીથી રાજા બનાવશે, તેથી તે પહાડોમાં ફરીથી એકલા ચાલ્યા ગયા.
૧૬. સાંજ પડવા આવી ત્યારે તેમના શિષ્યો સરોવર તરફ ગયા.
૧૭. તેઓ એક હોડીમાં બેઠા અને સરોવરમાં થઈને કાપરનાહૂમ પાછા જતા હતા. રાત પડી હતી અને ઈસુ હજુ પણ તેમની પાસે આવ્યા ન હતા.
૧૮. વળી, સખત પવન ફૂંકાવા લાગ્યો અને મોજાં ઊછળવા લાગ્યાં.
૧૯. તેઓ હલેસાં મારતા મારતા પાંચથી છ કિલોમીટર દૂર ગયા ત્યારે તેમણે ઈસુને પાણી પર ચાલતા અને હોડીની નજીક આવતા જોયા. તેથી તેઓ ગભરાઈ ઊઠયા.
૨૦. ઈસુએ કહ્યું, “બીશો નહિ, એ તો હું છું.”
૨૧. એટલે તેઓ તેમને હોડીમાં લેવા તૈયાર થયા; પછી તેઓ જ્યાં જવા માગતા હતા ત્યાં હોડી તરત જ પહોંચી ગઈ.
Gujarati Bible 2016 (GUCL)
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L. 2016 by The Bible Society of India Used by permission. worldwide