એક વર્ષમાં બાઇબલ
નવેમ્બર ૭

૧. હે, મનુષ્યપુત્ર, એક હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તરવાર તું લે, ને તે લઈને તું તેને તારા માથા પર તથા તારી દાઢી પર ફેરવ; પછી ત્રાજવા લઈને વાળ તોડીને તેના ભાગ પાડ.
૨. ઘેરાના દિવસ પૂરા થાય ત્યારે ત્રીજા ભાગના વાળ તારે નગરના મધ્ય ભાગમાં અગ્નિમાં બાળવા; અને ત્રીજા ભાગનાને લઈને તેમની આસપાસ તારે તરવારથી ઝટકા મારવા; અને ત્રીજા ભાગનાને તારે પવનમાં ઉડાવી દેવા, અને હું તેમની પાછળ તરવાર ખેંચીશ.
૩. વળી તારે તેમાંથી થોડાક લઈને તારી ચાળમાં બાંધવા.
૪. પછી એમાંથી ફરીથી કેટલાક તારે લેવા, ને તેમને અગ્નિમાં નાખીને બાળી દેવા, એમાંથી ઇઝરાયલની આખી પ્રજામાં અગ્નિ ફરી વળશે.”
૫. પ્રભુ યહોવા કહે છે, “એ તો યરુશાલેમ છે; મેં તેને પ્રજાઓની મધ્યમાં સ્થાપ્યું છે, ને તેની આસપાસ ચારે તરફ [અન્ય] દેશો આવેલા છે.
૬. યરુશાલેમ દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓના કરતાં વધારે બંડ, ને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના દેશો કરતાં વધારે બંડ કર્યું છે; કેમ કે તેઓએ મારા હુકમોનો અનાદર કર્યો છે, ને મારે વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા નથી.”
૭. એ માટે પ્રભુ યહોવા કહે છે, “તમારી આસપાસની પ્રજાઓ કરતાં તમે વધારે હુલ્લડખોર છો, તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારા હુકમો પાળ્યા નથી, તેમ જ તમારી આસપાસની પ્રજાઓના નિયમો પ્રમાણે વર્તયા નથી.
૮. તેથી પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, હું, હા, હુંજ, તમારી વિરુદ્ધ છું; અને હું પ્રજાઓના જોતાં તમારા પર ન્યાયશાસનનો અમલ કરીશ.
૯. વળી તારાં સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોને લીધે હું તારી એવી દુર્દશા કરીશ કે જેવી મેં કદી કોઈની કરી નથી, ને ફરીથી કોઈની પણ કદી કરીશ નહિ.
૧૦. એ કારણથી તારા લોકોમાં પિતા પોતાના દીકરાને ખાશે, ને દીકરા પોતાના પિતાને ખાશે; અને હું તારા લોકોમાં ન્યાયશાસનનો અમલ કરીશ, ને તારા બાકી રહેલા સર્વને ચારે દિશાએ વિખેરી નાખીશ.”
૧૧. એ માટે પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે, “તારી સર્વ ધિક્કારપાત્ર વસ્તુઓથી, ને તારા સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોથી તેં મારું પવિત્રસ્થાન ભ્રષ્ટ કર્યું છે, તે કારણથી હું પણ નિશ્ચે તેન કાપી નાખીશ; અને હું ખામોશી રાખીશ નહિ. ને હું કંઈ પણ દયા બતાવીશ નહિ.
૧૨. તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે; અને ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે; અને ત્રીજા ભાગને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, ને તેમની પાછળ તરવાર ખેંચીશ.
૧૩. એવી રીતે મારો કોપ પૂરો થશે, ને તેમના પરનો મારો ક્રોધ હું સમાપ્ત કરીશ, ત્યારે મને નિરાંત વળશે; અને મારો કોપ હું તેમના પર પૂરો કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા મારા આવેશમાં બોલ્યો છું.
૧૪. વળી તારી આસપાસની પ્રજાઓમાં પાસે થઈને સર્વ જનારાની નજરમાં હું તને વેરાન તથા મહેણારૂપ કરીશ.
૧૫. એવી રીતે જ્યારે હું કોપમાં ને ક્રોધમાં, સખત ધમકીઓ સહિત તારા ઉપર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે તે તારી આસપાસની પ્રજાઓને ધમકીરૂપ, મહેણારૂપ, ચેતવણીરૂપ તથા અચંબારૂપ થઈ પડશે; હું યહોવા એ બોલ્યો છું.
૧૬. દુકાળના નાશકારક બાણો જે તમારો નાશ કરવા માટે છે, તે હું તેઓ પર મોકલીશ; અને હું તમારા પરના દુકાળની વુદ્ધિ કરીને તમારા આજીવિકાવૃક્ષનું ખંડન કરીશ.
૧૭. હું તમારા પર દુકાળ તથા હિંસક શ્વાપદો મોકલીશ, ને તેઓ તને પરિવારહીન કરી નાખશે; અને તારા ઉપર મરકી તથા ખૂનરેજી ફરી વળશે. ને હું તારા પર તરવાર લાવીશ; હું યહોવા એ બોલ્યો છું.”
૧. પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
૨. “હે મનુષ્યપુત્ર, તારું મુખ ઇઝરાયલના પર્વતો તરફ રાખીને તેમની વિરુદ્ધ એવું ભવિષ્ય કહે કે
૩. હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાનું વચન સાંભળો; પ્રભુ યહોવા પર્વતોને, ડુંગરોને, પાણીનાં નાળાંને તથા ખીણોને કહે છે કે, જુઓ, હું, હા, હું જ, તમારા પર તરવાર લાવીને તમારાં ઉચ્ચસ્થાનોનો વિનાશ કરીશ.
૪. તમારી વેદીઓ ઉજ્જડ થશે, ને તમારી સૂર્યની મૂર્તિઓ ભાંગી નાખવામાં આવશે; અને હું તમારા કતલ થયેલા માણસોને તમારી મૂર્તિઓની આગળ નાખીશ.
૫. ઇઝરાયલીઓની લાસો હું તેઓની મૂર્તિઓની આગળ નાખીશ; અને હું તમારા હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.
૬. તમારા સર્વ નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી મૂકવામાં આવશે, અને ઉચ્ચસ્થાનોનો નાશ થશે, જેથી તમારી વેદીઓ વેરાન થઈને ઉજ્જડ થશે, ને તમારી મૂર્તિઓ ભાંગી નાખીને તેમનો અંત આવશે, ને તમારી સૂર્યની મૂર્તિઓ કાપી નાખવામાં આવશે, ને તમારા બાંધકામોનો નાશ થશે.
૭. કતલ થયેલાઓ તમારામાં પડશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
૮. તથાપિ હું કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદા જુદા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓમાં તરવારથી બચી જશે.
૯. તમારામાંના જેઓ બચી જશે તેઓ, જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મારું સ્મરણ કરશે કે, મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હ્રદયથી, ને તમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હ્રદય કેવું ભંગ થયું છે! અને પોતે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.
૧૦. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું; અને હું તેમના પર આ આફત લાવીશ, એ મેં ફોકટ કહ્યું નથી.”
૧૧. પ્રભુ યહોવ કહે‌ છે. “હાય અફાળીને તથા પગ પછાડીને કહે કે, ઇઝરાયલ પ્રજાના સર્વ ધિક્કારપાત્ર દુષ્કર્મોને લીધે તેમને અફસોસ! કેમ કે તેઓ તરવારથી, દુકાળથી તથા મરકીથી પાયમાલ થશે.
૧૨. દૂર રહેનારા મરકીથી માર્યા જશે, ને પાસે રહેનારા તરવારથી નાશ પામશે, અને બાકી રહેલા જેમને ઘેરી લેવામા આવ્યા છે તેઓ દુકાળથી માર્યા જશે આ પ્રમાણે હું મારો ક્રોધ તેમના પર પૂરો કરીશ.
૧૩. જ્યારે તેઓના કતલ થયેલા માણસો દરેક ડુંગર પર, પર્વતોના દરેક શિખેરો પર, દરેક લીલા વૃક્ષ નીચે, તથા દરેક ઘટાદાર એલોનવૃક્ષ નીચે, એટલે જે જે જગાએ તેઓ પોતાની સર્વ મૂર્તિઓની આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં, તેઓની વેદીઓની આસપાસ તેઓની મૂર્તિઓની સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
૧૪. હું મારો હાથ તેમના પર લંબાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે ભૂમિને દિબ્લા તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ તથા વેરાન કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”
૧૬૯. હે યહોવા, મારા પોકારને તમારી પાસે આવવા દો; તમારા વચન પ્રમાણે મને સમજણ આપો.
૧૭૦. મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને છોડાવો.
૧૭૧. મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારો; કેમ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.
૧૭૨. મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો; કેમ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.
૧૭૩. તમારો હાથ મને સહાય કરવા તૈયાર થાઓ; કેમ કે મેં તમારાં શાસન પસંદ કર્યાં છે.
૧૭૪. હે યહોવા, હું તમારા તારણને માટે અભિલાષી છું; તમારો નિયમ મારો આનંદ છે.
૧૭૫. મારા આત્માને જીવાડો, એટલે તે તમારી સ્તુતિ કરશે; તમારાં ન્યાયવચનો મને સહાય કરો.
૧૭૬. હું ભૂલા પડેલા મેંઢાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ વીસરી જતો નથી.
૧૪. હંમેશાં ભય રાખનાર માણસને ધન્ય છે; પણ જે માણસ પોતાનું હ્રદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.
૧. એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.
૨. જેમ મૂસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ એ પોતાના નીમનાર પ્રત્યે વિશ્વાસુ હતા.
૩. કેમ કે જેમ ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન [ઘટે] છે, તેમ એમને મૂસા કરતાં વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યા છે.
૪. કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ બધી વસ્તુઓના સર્જનહાર તો ઈશ્વર છે.
૫. મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા માટે, [ઈશ્વરના] આખા ઘરમાં સેવકની જેમ વિશ્વાસુ હતો ખરો;
૬. પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે [ઈશ્વરના] ઘર પર વિશ્વાસુ હતા. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દઢ રાખીએ, તો આપણે તેમનું ઘર છીએ.
૭. એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “જો તમે આજ ઈશ્વરની વાણી સાંભળો,
૮. તો જેમ ક્રોધકાળે, એટલે રાનમાંના પરીક્ષણના સમયમાં, તમે તમારાં‍હ્રદય કઠણ કર્યાં તેમ કરો નહિ.
૯. ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું, અને ચાળીસ વરસ સુધી મારાં કામ જોયાં.
૧૦. તેથી તે જમાનાના લોકો પર હું નારાજ થયો, અને મેં કહ્યું કે, તેઓ પોતાનાં હ્રદયમાં હંમેશાં અવળે માર્ગે જાય છે; તેઓએ મારા માર્ગ જાણ્યા નહિ.
૧૧. માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ, એવા મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા.”
૧૨. હે ભાઈઓ, તમે સાવધ રહો, રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને એમ તેમ તે જીવતા ઈશ્વરથી દૂર જાય.
૧૩. પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે, પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ [હ્રદયનો] ન થાય.
૧૪. કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દઢ રાખીએ, તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ.
૧૫. કેમ કે કહેલું છે, “આજ જો તમે તેમની વાણી સાંભળો, તો જેમ ક્રોધકાળે તમે તમારાં હ્રદય કઠણ કર્યાં તેમ કરો નહિ.”
૧૬. કેમકે [તે વાણી] સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્‍ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસરમાંથી બહાર આવ્યા તે બધાએ નહિ?
૧૭. વળી ચાળીસ વરસ સુધી તે કોના ઉપર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યા, જેઓનાં શબ અરણ્યમાં પડયાં, તેઓના પર નહિ?
૧૮. અને જેઓએ માન્યું નહિ તેઓ વગર બીજા કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ?”
૧૯. તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શકયા નહિ.
Gujarati Bible (GUOV) 2016
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ Copyright © Bible Society of India, 2016. Used by permission. worldwide